તાલુકાના કોટડા જડોદર ગામથી 2 કિ.મી.ના અંતરે સીમમાં આવેલા ભુંગામાં આગ લાગતાં રોકડ રૂ.1.50 લાખ સહિત, તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. કોટડા જડોદરના સીમ વિસ્તારમાં માલધારીઓ પોતાના પશુધન માટે ભુંગા બનાવીને વસવાટ કરી રહ્યા છે. જે ભુંગાઓ પૈકી એક ભુંગામાં આજે આગ લાગી હતી, જેના પગલે ભુંગામાં રહેલી ઘરવખરી સહિત રૂ.1,50,000 બળીને ખાક થઇ ગયા હતા. ભુંગામાં જ ચુલો આવેલો હોઇ, રસોઇ બનાવતી વખતે તેમાંથી ઉડેલા તણખલાથી આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આગ અંગેની નખત્રાણા પ્રાંત અધિકારી જી.કે. રાઠોડ અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી, માલધારી પરિવારને સાંત્વના આપી હતી. એકબાજુ લોક ડાઉન છે તો બીજી બાજુ આગરૂપી આફતથી માલધારી પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે, જેથી તેમને મદદરૂપ થવા માટે તાત્કાલિક રાશન કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
Sunday, April 12, 2020
New