ગત 13મી એપ્રિલના રાત્રે માનકુવા થી ફરજ પુરી કરીને માધાપર મોટર સાયકલમાં જઇ રહેલા એએસઆઇ મોહનસિંહ ગુરખાને ભુજના રિલાયન્સ સર્કલ નજીક ગાયને બચાવવા જતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેનું અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારે મોત નીપજ્યું હતું. મોહનસિંગના મોતથી તેમના પરિવારજનોમાં તેમજ પોલીસદળમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા અને માધાપર નવાવાસમાં રહેતા મોહનસિંહ કટુસિંહ ગુરખા (ઉ.વ.49) ગત 13મી એપ્રિલના રાત્રીના અગ્યાર વાગ્યે માનકુવા પોલીસ મથકમાંથી પોતાની ફરજ પુરી કરીને લઈને માધાપર ઘરે જતા હતા ત્યારે રીલાયન્સ સર્કલથી ઉદ્યોગ કેન્દ્ર સર્કલ વચ્ચે ગાય આડી ઉતરતાં તેને બચાવવા જતાં બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી જેને કારણે મોહનસિંહને ગંભીર ઇજાઓ થવાથી પ્રથમ સારવાર જી.કે.માં અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાતાં જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે તેમનું મોત નીપજ્યું હતું. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ વી.આર. ઉલ્વાએ હાથ ધરી છે. મોહનસિંહ અગાઉ એસપી કચેરીમાં એલઆઇબીમાં ફરજ બજાવતા હતા અને હાલ માનકુવા પોલીસ મથકમાં ફરજ બજાવી રહયા હતા.
Saturday, April 25, 2020
New