લાકડીયા ગામના રેલવે સ્ટેશન બહાર પગથિયા પર બેઠેલા બે શખસોને તમંચા સાથે પૂર્વ કચ્છ એસઓજીની ટીમે પકડી લીધા છે. પણ આ હાથ બનાવટનો તમંચો આપનાર રાપરનો નામચીન શખસ ફરાર રહ્યો હતો. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાત્રે 10 વાગ્યે રેલવે સ્ટેશનના ગામ તરફના પગથિયા ઉપર બેઠેલા રાપરના ચમન ભીખાભાઇ આખિયાણી (કોલી) અને હુસેન ઇબ્રાહીમ લંઘાને રૂ.3000ની કિંમતના હાથ બનાવટના દેશી તમંચા અગ્નિશસ્ત્ર સાથે પકડી લીધા હતાં. પ્રાથમિક પુછપરછમાં હુસેને જણાવ્યું હતું કે, આ તમંચો રાપરના ચમન ભીખા કોલી પાસેથી રૂ.13 હજારમાં લીધો હતો. ચમન ભીખા કોલીને પુછતાં તેણે આ તમંચો રૂ.2500 માં રાપરના ધીરૂ ગણેશા લુહાર પાસેથી લઇ હુસેનને વેચ્યો હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે રાપરનો ધીરૂ ગણેશા લોહાર અગાઉ ઘણી વખત તમંચા વેંચવાના ગુનામાં પકડાઇ ચુક્યો છે. જેનું નામ આ વખતે પણ ખુલ્યું છે પણ હજી સુધી એ પકડાયો નથી.
પોલીસ કુખ્યાત ધીરૂ લુહારને પકડી પાસામાં કેમ નથી ફીટ કરતી ?
લાકડિયા રેલવે સ્ટેશનના પગથિયા પરથી બે જણાને એસઓજીએ હાથ બનાવટના દેશી તમંચા સાથે પકડી લીધા હતા જેમની પુછપરછમાં અગાઉ પણ ઘણી વખત તમંચા વેચવાના ગુનામાં પકડાયેલા રાપરના કુખ્યાત ધીરૂ ગણેશા લુહારનું નામ ખુલ્યું છે ત્યારે સવાલ એ છે કે પોલીસ ધીરુને જ પકડી શા માટે કડક કાર્યવાહી કરતી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ધીરૂ જ તમંચા વેચી પોલીસને બાતમી આપતો હોવાની ચર્ચા પણ થઇ રહી છે જેમાં જો અનેક તમંચા વેચનાર ધીરૂ જો અનેક વખત પકડાઇ ચુક્યો હોય તો તેના વિરૂધ્ધ પાસામાં ધકેલી દેવાની કામગીરી શા માટે કરાતી નથી ?
