કચ્છના કારીગરોને કનડતા પ્રશ્નો રાષ્ટ્રપતિને રૂબરૂ રજૂ કરાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 4, 2020

કચ્છના કારીગરોને કનડતા પ્રશ્નો રાષ્ટ્રપતિને રૂબરૂ રજૂ કરાયા

દેશમાં વિવિધ ક્ષેત્રે નિ:સ્વાર્થ ભાવે નોંધપાત્ર સેવા કરતા અગ્રણીઓનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું હતું. આ સમારોહમાં સન્માનિત અજરખપુરના સેવાભાવીએ કચ્છમાં હસ્તકલા કારીગરોને સ્પર્શતા પ્રશ્નો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરીને યોગ્ય પગલા ભરવાની માગ કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અભિવાદન સ્વીકારનારા અજરખપુરના ડો. ઇસ્માઇલ ખત્રીએ કચ્છની અજરખ, બાટિક, રોગાન, બાંધણી સહિતની હસ્તકલા વિશે વિગતો આપતાં આ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોને કનડતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. એક સમયે કચ્છ પૂરતી સીમિત આ કલા હવે રાષ્ટ્રીય ફલક પર પ્રસિધ્ધ બની છે જેને કારણે વેપાર વધ્યો છે તેની સાથે હવે કારીગરો અને તેના સંતાનો શિક્ષિત હોય તે આવશ્યક બન્યું છે.
આ સંજોગોમાં હસ્તકલાકારના સંતાનોને શિક્ષણ પૂરું પાડવા સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરાય તેવી રજૂઆત તેમણે કરી હતી. આ ઉપરાંત હસ્તકલા સાથે સંકળાયેલા વર્ગને ઓબીસીમાં સમાવવા કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે પણ ગુજરાત સરકાર દ્વારા તેનો અમલ નથી કરાયો તે અંગે યોગ્ય સ્તરે સૂચના આપવા ડો. ખત્રીએ માગ કરી હતી. અજરખપુર અને ધમડકામાં ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાની પૂર્તતા માટે પણ તેમણે ધ્યાન દોર્યું હતું. અંદાજે અડધા કલાક જેટલી વાતચીત બાદ રાષ્ટ્રપતિએ તેમને યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ સમારોહમાં દેશભરના 60 પૈકી ગુજરાતના 4 સેવાભાવી સન્માનાયા હતા જેમાં ડો. ખત્રીનો સમાવેશ થાય છે.